મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે

મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે…

 

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું

મને હશે શું થાતું નાથ નિહાળજો રે…

 

અનાદિ આપ જ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા

દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે…

 

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો

મહા મુંઝારો મારો નટવર ટાળજો રે…

 

કેશવ હરિ મારૂં શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?

લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે…